સુરત પાલિકા તંત્ર એલર્ટ : જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ-ગટરના કનેક્શન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાપવાનું શરૂ.

સુરત :

સુરત પાલિકાના લિંબાયત ઝોને માનદરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરુ કર્યું છે. સોમવારે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

સચીન પાલી મકાન હોનારત બાદ પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહી આવવાનો નિર્ણય કરી લીધો છે. લાંબા સમયથી રીંગરોડ માનદરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડીંગ છે. રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબુરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું. પરંતુ પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી.ગરીબ અસરગ્રસ્તોએ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી જ મકાન ખાલી કરીશું તેવી માગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ જોખમ લેવા માગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી છે.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)