સોમનાથમાં યોજાયો રિજિયોનલ સ્ટેકહોલ્ડર વર્કશોપ – ‘વિકસિત ભારત-2047’ માટે દરિયાઈ જીલ્લાઓનું મનોમંથન

વેરાવળ :
વિકસિત ભારતના વિઝન-2047ને આધારે દરિયાકાંઠાના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા ચાર જિલ્લાઓ રાજ્યના અને દેશના વિકાસમાં કઈ રીતે યોગદાન આપી શકે તે મુદ્દે સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં જી.આર.આઈ.ટી. દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર માટે આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની દિશામાં વિસ્તારથી મનોમંથન કરાયું હતું.

વર્કશોપમાં ચારે જિલ્લાઓના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો દ્વારા પોતાના જિલ્લાના વૈશિષ્ટ્યો, તકો અને આવનારા પડકારો પર આધારિત વિસ્તાર વિકાસ માટેના રોડમૅપ રજૂ કરાયા હતા.

ગીર સોમનાથ: મત્સ્યોદ્યોગ અને નૈસર્ગિક ચિકિત્સાના કેન્દ્ર તરીકે ઉભારવાનો દ્રષ્ટિકોણ

કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ગીર સોમનાથની ખાસિયતો રજૂ કરતાં જણાવ્યું કે જિલ્લામાં 100થી વધુ કોલ્ડ સ્ટોરેજ અને 7000 કરોડના બિઝનેસ સાથે મત્સ્યોદ્યોગનો વિશાળ હિસ્સો છે. 97 હજારથી વધુ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. કોલ્ડ ચેઈન, મૂલ્યવર્ધન અને નિકાસ વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો જરૂરી છે.
તેઓએ તુલસીશ્યામના હોટ વોટર સ્પ્રિંગ, ભાલકા-પ્રાચી-તુલસીશ્યામ પ્રવાસન સર્કિટ, કેસર કેરી અને નારિયેળના વૈજ્ઞાનિક ઉપયોગ, તેમજ નૈસર્ગિક ઉપચાર કેન્દ્રો ઉભા કરવાના સૂચનો આપ્યા.

જૂનાગઢ: વારસાગત અને ઔષધિય ટૂરીઝમનો વિકાસ

કમિશનર ડો. ઓમપ્રકાશે જૂનાગઢના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે જૂનાગઢ આર્કિયોલોજી, હેરીટેજ અને નેચરોપેથી ટૂરિઝમ માટે મહત્વ ધરાવે છે. 400થી વધુ ઔષધિય વનસ્પતિઓનું સંશોધન અને ઉપયોગ કરી નવા કેન્દ્રો ઊભા કરી શકાય છે.

પોરબંદર: દ્વિતીય તીર્થ યાત્રાધામ વચ્ચે એક અભૂતપૂર્વ કડી

કમિશનર એચ.જે. પ્રજાપતિએ પોરબંદરનાં વિવિધ પ્રવાસન સ્થળો જેવા કે બરડા સેન્ચ્યુરી, જાંબવત ગુફા, મોકરસાગર, અને દરિયાઈ ક્રૂઝ પ્રવાસન જેવી સંભાવનાઓ દર્શાવીને ટૂરિઝમ ઈકોનોમીના મોડેલ પર ભાર મૂક્યો.

દેવભૂમિ દ્વારકા: મીઠા અને બંદરો સાથે પ્રવાસનનું પાવરહાઉસ

કલેક્ટર આર.એમ. તન્નાએ મીઠું, બંદરો અને પ્રવાસન ક્ષેત્રે દ્વારકાની તકોનો ઉલ્લેખ કર્યો. તેમણે રેલ અને એર કનેક્ટિવિટી, કેનાલ નેટવર્ક અને એગ્રો પ્રોસેસિંગ યુનિટની જરૂરિયાતો રજૂ કરી.

પ્રેઝન્ટેશન અને વિચારોનું મનોમંથન

જી.આર.આઈ.ટી.ના રોહન ગૌરે વિસ્તાર વિકાસના સંદર્ભમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી વર્ણન કર્યું. વિવિધ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ સંગઠનોએ પણ પોતાના વિચાર રજૂ કરી ભવિષ્ય માટેનો દિશા નિર્દેશ આપ્યો.

વર્કશોપમાં વન વિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિત ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન્સ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ સહભાગી બની દરિયાઈ વિસ્તારોના ટકાઉ વિકાસ માટે યોગદાન આપ્યું.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ