સોમનાથ ખાતે પ્લાસ્ટિક ઇન્ફ્યૂઝ પેવર બ્લોક મેન્યુફેક્ચર પ્લાન્ટ સ્થાપવાની યોજના

ગીર સોમનાથ:

સોમનાથ યાત્રાધામમાં પ્લાસ્ટિક કચરાનું પ્રભાવશાળી ઉકેલ લાવવા માટે નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. પ્લાસ્ટિક નાબૂદી ઝૂંબેશ હેઠળ યાત્રાધામમાં એકઠા થતા પ્લાસ્ટિક કચરાને રિસાયકલ કરીને તેનો ઉપયોગ પેવર બ્લોક બનાવવામાં થવાનો છે.

સોમનાથ ખાતે આ માટે પ્લાસ્ટિક ઇન્ફ્યૂઝ પેવર બ્લોક મેન્યુફેક્ચર પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને લઇને ઈણાજ ખાતે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સોમનાથ મંદિર પરિસરમાં અને આસપાસ પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક તૈયાર કરીને યાત્રાધામને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.

આ યોજના માત્ર પર્યાવરણને લાભકારક નહીં રહે, પણ સ્થાનિક મહિલાઓને રોજગારીના સ્ત્રોત પણ પૂરાં પાડશે. પ્લાન્ટ શરૂ થતાં પ્લાસ્ટિક પ્રદૂષણ પર નિયંત્રણ મળશે અને પ્લાસ્ટિક મેનેજમેન્ટ માટે સોમનાથ યાત્રાધામ એક ઉત્તમ દૃષ્ટાંત રૂપ બની ઉઠશે.

આ બેઠકમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમ.ડી., કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને વેરાવળ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ