સોમનાથ ખાતે રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ યોજાશે

વિવિધ ચર્ચાસત્રના નિષ્કર્ષથી વિકાસની રૂપરેખા તૈયાર થશે

ગુરુત્વપૂર્ણ વિકાસ માટે ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાનના પ્રિપરેશન માટે ગીર સોમનાથ જિલ્લામાં રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેક્ટરે વિઝન-૨૦૪૭ અંતર્ગત પ્રગતિશીલ, સશક્ત અને ટકાઉ વિકાસ માટે ઉદ્યોગના પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી અને તેમના સૂચનો મેળવ્યા.

આ મીટિંગમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ખાણખનીજ, પશુપાલન સહિતના વિભાગોથી પણ સંબંધિત માહિતીઓ મેળવી વર્કશોપ માટે તૈયારીઓ થઇ.

ઉલ્લેખનીય છે કે ૩૧ મેના રોજ સાગરદર્શન ખાતે યોજાનાર આ વર્કશોપમાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લાઓના સરકારી અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના સ્ટેકહોલ્ડર્સ ભાગ લેશે. આ ચર્ચાસત્રોના નિષ્કર્ષ આધારે જિલ્લા માટે વિકાસની આગોતરી રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા અને અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ