સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી, કલેક્ટર સહીત ભક્તો મહાઆરતીમાં જોડાયા

ગિર સોમનાથ જિલ્લાના પવિત્ર ત્રિવેણી સંગમ પર આજે જેઠ શુક્લા દશમી એટલે કે ગંગાદશેરાના પાવન અવસરે ગંગામાતાના અવતરણ પર્વની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે ત્રિવેણી સંગમ ખાતે ગંગાવતરણ પૂજા, ગંગા અષ્ટકમના પઠન અને શિવજી પર ગંગાજળ અભિષેક સાથે મહાઆરતી યોજાઈ હતી.

આ ધાર્મિક કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાય, અધિક કલેકટર શ્રી રાજેશ આલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કન્યાઓ દ્વારા શિવજીની જટાઓ પરથી ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે ભક્તોએ ગંગા અષ્ટકમના પઠન સાથે ત્રિવેણી માતાની આરતી ઉતારી હતી.

🔹 ત્રિવેણી સંગમ એ ત્રણે પવિત્ર નદીઓ – હિરણ, કપિલા અને સરસ્વતીના સંગમ સ્થાન તરીકે જાણીતી છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે તર્પણ કર્યું હતું. અહી આજે ભક્તિભેર ગંગા અવતરણના પાવન દ્રશ્યો સર્જાયા હતા.

🔹 કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોએ પવિત્ર જલસ્થળોની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ નદીઓ, તળાવો, સમુદ્ર કે કુવામાં કચરો નહીં નાંખે અને પર્યાવરણ સંરક્ષણને અનુરૂપ પૂજા પાઠ કરશે.

🔹 શિવાભિષેક કરનાર કન્યાઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરસ્કાર તેમજ પ્રસાદ આપી વિદાય આપવામાં આવી હતી.

🔹 રાત્રે અલૌકિક ઘૂપ-દીપ સાથે મહાઆરતી યોજાઈ હતી જેમાં ભક્તોની ભક્તિએ ત્રિવેણી સંગમને ગુંજાવી દીધું હતું.

આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું યશસ્વી આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું હતું જેમાં તીર્થ પૂરોહિત પરિવાર, સત્સંગી ભક્તો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

📍 સ્થળ: ત્રિવેણી સંગમ, સોમનાથ
📝 અહેવાલ: ભરતસિંહ જાદવ, ગિર સોમનાથ