સોમનાથ મહાદેવના ચરણોમાં 3000 યોગસાધકો દ્વારા યોગસાધના, યોગદિનની ભવ્ય ઉજવણી

સોમનાથ, તા. 21 જૂન:
આજ રોજ સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો છે. એ અવસરે ‘આદિ યોગી’ અને ‘યોગરાજ’ તરીકે માનિત શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભવ્ય યોગ સમારોહ યોજાયો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં 3000થી વધુ યોગસાધકોએ યોગાભ્યાસ કરીને અનન્ય શારીરિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.

સોમનાથ ચોપાટી ખાતે યોજાયેલ આ યોગ મહોત્સવમાં વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાન દ્વારા યોગના મૂળ તત્વોને જીવંત બનાવી દેવાયા હતા. ઉપસ્થિત સાધકો માટે યોગ માત્ર શારીરિક કસરત નહોતું, પરંતુ તેમણે પોતાના “જીવનું શિવ સાથે થતું મિલન” પણ અનુભવ્યું હોવાનો ભાવ વ્યક્ત કર્યો.

આ કાર્યક્રમનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. કાર્યક્રમની સમાપન બાદ ટ્રસ્ટ તરફથી તમામ યોગ અભ્યાસુઓને ઉર્જાવર્ધક અને તાજગીદાયક લીંબુ શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર યોગ સત્ર “જય સોમનાથ” ના ઘોષ સાથે ભક્તિભાવ અને ઊર્જાથી ભરપૂર માહોલમાં પૂર્ણ થયો.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ