આજ રોજ ૨૧મી જૂને ‘૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ સમગ્ર રાજ્યમાં ભવ્ય રીતે ઉજવાયો ત્યારે તીર્થધામ સોમનાથમાં પણ આ ભવ્ય ઉજવણી નોંધપાત્ર રહી. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના ચોપાટી મેદાન ખાતે સુર્યોદય સમયે અરબી સમુદ્રની લહેરોની સાથોસાથ યોગસાધનાનો શુભ આરંભ થયો.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી આયોજિત આ યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પોતાના ઉદબોધનમાં હિમાંજય પાલીવાલે યોગને આત્મકલ્યાણથી વિશ્વ કલ્યાણ તરફ લઈ જતું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું અને ઉમેર્યું કે, “આદિયોગી શિવની પાવન ભૂમિ પર યોગસાધના એ આપણી સંસ્કૃતિ અને ધરોહરની સાચી સેવા છે.”
તેમણે કહ્યું કે, “યોગ ફક્ત એક દિવસ માટે નહિ, પણ દરરોજનો અભ્યાસ બનવો જોઈએ. યોગ આપણું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવા માટે ઉત્તમ ઉપાય છે. ‘એક પૃથ્વી – એક સ્વાસ્થ્ય’ એ ચિંતનથી આપણે સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શન આપી રહ્યા છીએ.”
આ પ્રસંગે કલેકટર એન.વી. ઉપાધ્યાયે યોગના મહત્વ અંગે જણાવતાં કહ્યું કે નિયમિત યોગ તણાવથી મુક્તિ, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને જીવનમાં સકારાત્મકતા લાવવાનું શક્તિશાળી સાધન છે. યોગાભ્યાસ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણીય સંદેશ પણ આપ્યો હતો.
🧘🏻♀️ કાર્યક્રમની વિશેષતાઓ:
યોગ માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાડાસન, વક્રાસન, હસ્તપાદાસન, ઉષ્ટ્રાસન, સવાસન જેવા યોગાસનોનું માર્ગદર્શન
પ્રસિદ્ધ પ્રાણાયામ જેવી કે કપાલભાતિ અને અનુલોમ-વિલોમનો અભ્યાસ
ઉના તાલુકાની વરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સંગીતમય યોગ નિદર્શન
સમગ્ર જિલ્લામાં અંદાજે 2,00,000થી વધુ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો
📺 રાજ્ય કક્ષાની યોગ ઉજવણીનું જીવંત પ્રસારણ પણ સોમનાથમાં દર્શાવવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરથી જોડાયા હતા.
મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષમાં યોગદિવસની ઉજવણીના પગલે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે અને મેદસ્વિતા સહિતના રોગો સામે યોગ એક શક્તિશાળી ઔષધિ સમાન બની ગયું છે.
🎖️ વિશિષ્ટ ઉપસ્થિતિમાં:
જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને અનેક પદાધિકારીઓ, પોલીસ જવાનો તથા સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત ૨૫૦૦થી વધુ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો.
🌿 “યોગથી તંદુરસ્ત દેહ, યોગથી શાંતિમય મન – યોગ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો”