સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમઃ તા. ૨૫ ફેબ્રુઆરીએ તાલુકા અને તા. ૨૭ ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

જૂનાગઢ, તા.૦૫ નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ ગુરુવારના સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે, જિલ્લા કલેક્ટરશ્રી અને સંબંધિત ખાતાના અધિકારીશ્રીઓ આ પ્રશ્નો સાંભળશે. તા.૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે દરેક તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે, જેમાં સંબંધિત અધિકારીશ્રીઓ તાલુકા મથકે ઉપસ્થિત રહેશે.

નાગરિકો તેમના પ્રશ્નો જે-તે ગામના તલાટીને દર મહિનાની ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકશે. જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી અને તાલુકા તથા ગ્રામ કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ જે-તે તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.

નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી અંગ્રેજી માસની તા.૧૦ તારીખ સુધીમાં કરવી. નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકાકક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. તાલુકા કક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆત કરવી નહિ. અરજદારે HTTP://SWAGAT.GUJARAT.GOV.IN/CITIZEN_ENTRY_DS.ASPX?FRM=WS પર ઓનલાઇન અરજી કરવી, તેમ જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)