હરિયાણા સરકારના સિમ્બોલ વાળા ઘઉંના કટ્ટા ભરેલ ટ્રેલર અંબાજીના ચીખલા નજીક પલટી મારી જતા કલેકટરને જાણ કર્યા બાદ દાંતા મામલતદાર સહિતની ટીમ દોડતી થઈ.

અંબાજી

અંબાજી નજીક ચીખલા રોડ ઉપર ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતા ટ્રેલર પલટી મારી ગયું હતું જેથી ટ્રેલરમાં ભરેલ ઘઉંના કટ્ટા રોડ પર વિખેરાયા હતા જોકે આ કટ્ટા જોતા તેના પર ગવર્મેન્ટ ઓફ હરિયાણાનુ લખાણ જોવા મળતા સ્થાનિક તંત્રને જાણ કરાઈ હતી.જોકે સ્થાનિક તંત્ર ન પહોચતા ત્યારબાદ કલેકટરને જાણ કરાયા બાદ તંત્ર દોડતું થયું હતું અને ઘટના સ્થળે દાંતા મામલતદાર સહિત પુરવઠા વિભાગની ટિમ પહોચી હતી.

જોકે ટ્રેલરમાં તપાસ કરતા અંદાજે 41 ટન એટલે કે મોટી માત્રામાં ઘઉંના કટ્ટાનો જથ્થો ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે રાજસ્થાન પાર્સિંગ ટ્રેલરમાં હરિયાણા સરકારના લખાણ વાળો એટલે કે સરકારી ઘઉંનો આટલો મોટો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં થઈને ક્યાં લઈ જવાતો હતો તે મોટો સવાલ છે.

જોકે આ બાબતે ટ્રેલર ચાલકને પૂછપરછ કરતા તેના અલગ અલગ જવાબો સામે આવ્યા હતા અને આ બાબતે કોઈ જ સ્પષ્ટતા ચાલક હજુ સુધી આપી શક્યો નથી જેથી આ સરકારી ઘઉંનો જથ્થો હાલ તો શંકાસ્પદ હાલતમાં સમજીને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેલર પલટી મારી જતા રોડ પર ઘઉંના કટ્ટા વિખેરાયા હતા ત્યારે આ સમયે વરસાદ ચાલુ થતા અનાજનો જથ્થો વધુ ના બગડે તે માટે તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની કામગીરી તંત્રએ હાથ ધરી હતી.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ટ્રેલરમાં આશરે 900 જેટલા ઘઉંના કરતા ભરેલા છે ત્યારે આટલી મોટી માત્રામાં સરકારી ઘઉંનો જથ્થો અન્ય રાજ્યોમાંથી બનાસકાંઠા સુધી કેવી રીતે પહોંચ્યો તે પણ એક અણીયાળો સવાલ છે.

આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીને ટેલિફોનિક પૂછતાં તેમને જણાવ્યું હતું કે ટ્રેલર પલ્ટી મારી જતા આ મામલો સામે આવ્યો છે, 41 ટન અંદાજે જથ્થો છે, હાલમાં ડ્રાઈવરને પૂછતા તે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યો નથી જેથી મામલતદાર દ્વારા જથ્થો સિઝ કરી હાલમાં ગોડાઉનમાં મુકાયો છે, નોટિસ આપી કન્સલ્ટ પાસે તેના આધાર પુરાવા માંગવામાં આવશે, કલેકટર દ્વારા તે સાંભળવામાં આવશે અને જે બાદ આગળની કાર્યવાહી કરાશે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)