૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને જાહેર મિલ્કતો પર બેનર્સ અને હોર્ડિંગ્સ લગાડવા પર પ્રતિબંધ

જુનાગઢ | તા. ૨૭ મે,
૮૭-વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. જેના અનુસંધાને જાહેર મિલ્કતો પર રાજકીય બેનર્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ્સ કે ઝંડા લગાવવાના તમામ પ્રકારના પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ અનિલ રાણાવસિયા દ્વારા “ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪” હેઠળ આ પ્રતિબંધ આદેશ જાહેર કરાયો છે. આ મુજબ જાહેર મિલ્કતો જેવી કે શાળાઓ, સરકારી કચેરીઓ, ખંભા, બસ સ્ટેન્ડ, દીવાલો અને અન્ય જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારની લેખન, ચોંટાણ, ઝંડા કે હોર્ડિંગ્સ લગાવવાની કામગીરીને કડક મનાઈ છે.

મેજીસ્ટ્રેટના જણાવ્યા અનુસાર જો સ્થાનિક કાયદાઓ અંતર્ગત ખાસ મંજૂરી મેળવીને જાહેર માહિતી માટેની જગ્યાઓ નક્કી કરેલી હોય તો તે જગ્યાઓ પર માત્ર કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને જ જાહેરાત મુકવા દેવામાં આવશે. અને તે પરિસ્થિતિમાં પણ કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારને વિશેષ કે એકપક્ષીય લાભ ન મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

જો કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષ આ આદેશનો ભંગ કરશે તો તેની સામે “ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪” ની કલમ-૩ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ