૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ચોપાનીયા અને ભીંતપત્રો માટે માર્ગદર્શક હુકમ

જૂનાગઢ | તા. ૨૭ મે
૮૭-વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન આગામી ૧૯ જૂન, ૨૦૨૫ના રોજ થનાર છે. મતગણતરી ૨૩ જૂને યોજાશે. આ ચૂંટણીને લઈને રાજકીય પ્રચાર સામગ્રી જેવી કે ચોપાનીયા, ભીંતપત્રો અને હેન્ડબિલ અંગે કડક માર્ગદર્શિકા અમલમાં આવી છે.

જૂનાગઢના જિલ્લા મેજીસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયાએ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૨૭ (ક) હેઠળ આ હુકમ આપ્યો છે. હુકમમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે – કોઈ પણ ચોપાનીયો કે ભીંતપત્રો એવા હોવા જોઈએ જેમાં મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા સ્પષ્ટ દર્શાવવામાં આવેલા હોય.

ઉમેદવાર અથવા પક્ષ દ્વારા છપાવેલી તમામ ચૂંટણી સામગ્રી માટે:

  • પ્રકાશકના ઓળખપત્ર (નમૂના-ક) સાથે બે વ્યક્તિઓના સાખી તરીકેના હસ્તાક્ષર જરૂરી રહેશે.
  • છાપેલ લેખનો ચાર નકલ, પ્રકાશકના એફિડેવિટની નકલ, છાપકામના ખર્ચની વિગતો (નમૂના-ખ) ત્રણ દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલવી ફરજિયાત રહેશે.
  • જો છાપકામ રાજ્ય પાટનગરમાં થાય તો તે માહિતી મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલવાની રહેશે.

મહત્વપૂર્ણ સ્પષ્ટતા:
આ નિયમો માત્ર તે ચોપાનીયા અને ભીંતપત્રો માટે લાગુ પડે છે જે ચૂંટણીને અનુરૂપ પ્રચાર માટે છપાવાય છે. ચૂંટણી સંબંધી સભાઓનું સમય, સ્થળ કે સુચનાઓ દર્શાવતા માહિતીપત્રો આ નિયમમાંથી બાકાત છે.

હુકમનું ઉલ્લંઘન કરનારને કાયદેસર કામગીરીનો સામનો કરવો પડશે. આ હુકમ ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારમાં હુકમની તારીખથી લઈ આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ