૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫: જૂનાગઢ જિલ્લામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહો ચૂંટણી કાર્ય માટે ઉપયોગ પર પ્રતિબંધ

જૂનાગઢ, તા. ૨૮ મે:

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટે યોજાનારી ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી ૧૯ જૂન ૨૦૨૫ના રોજ યોજાશે અને મતગણતરી ૨૩ જૂન ૨૦૨૫ને નિર્ધારિત છે. આ બેઠક માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા જાહેર કરી તેની કડક પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

આથી જૂનાગઢ જિલ્લામાં તમામ સરકારી, અર્ધસરકારી અને સહકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહો અને જાહેર સ્થળો રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકરો દ્વારા ચૂંટણી સંબંધિત કોઈ પણ હેતુ માટે ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે, આ આરામગૃહો અને ડાક બંગલાઓમાં રાજકીય પ્રવૃત્તિ, ટેલિફોન સંપર્ક, મુલાકાત, પ્રચાર કે મિટીંગ કરવી મનાઈ છે. આ બાંધકામોનું એક પક્ષ કે ઉમેદવાર દ્વારા એકલભૂત કબજો નહીં રાખી શકાય અને બીજાને ઉપયોગ માટે અવરોધિત કરવો પણ શક્ય નથી.

સરકારી વિશ્રામગૃહો અને અતિથિગૃહોમાં રાજકીય મિટીંગ માટે મંજૂરી નહીં મળે. ચુંટણી પ્રચારમાં આવેલા મહાનુભાવો માટે રૂમ ફાળવણી, વાહનોની સંખ્યા અને નિવાસ સમયમર્યાદા સહિતની શરતો પણ કડકપણે નિર્ધારિત કરવામાં આવી છે.

ખાસ કરીને ૪૮ કલાક પહેલા મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ રાજકીય પદાધિકારી ચુંટણી સંબંધિત પ્રવૃત્તિઓ માટે સરકારી આરામગૃહોનો ઉપયોગ કરી શકશે નહીં. જો હુકમનો ભંગ થાય તો તે ભારતીય દંડ સંહિતાના કલમ ૨૨૩ હેઠળ દંડનીય થશે.

આ પ્રતિબંધ આદેશ જાહેર થતાં જ અમલમાં આવશે અને પેટા ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે.

અહેવાલ : નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જુનાગઢ