જૂનાગઢ, તા. ૨૮ મે: ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૨૪-કડી (અ.જા.) અને ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગોની પેટા-ચૂંટણીના સંદર્ભમાં આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ અંગે સુચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ મહેસાણા, જુનાગઢ અને અમરેલી જીલ્લાના આ વિસ્તાર પર લાગુ થશે, જ્યાં આ પેટા-ચૂંટણી યોજાવાની છે.
ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આચાર સંહિતાની શરતો જેવી કે અધિકારીઓ અને કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિત મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટેની નિયમિત કામગીરી જરૂરી છે. આ આચાર સંહિતા પેટા ચૂંટણીના મતવિભાગોમાં જ લાગુ પડશે અને બીજી બાજુ બાકી જિલ્લાઓમાં વિકાસ અને રાહત કાર્ય શાંતિથી ચાલુ રહી શકશે.
સૂચનાઓ મુજબ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના, કુદરતી આપત્તિ, દુકાળ-પુર સંબંધિત કામો, કૃષિ સહાય, નાણાકીય સહાય, નવા વિકાસ કાર્યો, પ્રકલ્પો, જાહેરાતો, સરકારી પ્રચાર જેવી પ્રવૃત્તિઓ પેટા ચૂંટણીના મતવિભાગોમાં મર્યાદિત રહેશે.
જિલ્લાના તે વિસ્તારો, જ્યાં પેટા ચૂંટણી નથી, ત્યાં આચાર સંહિતાના આ નિયમો લાગુ નહીં પડે અને વિકાસ કાર્યો ચાલુ રહી શકશે. ઉપરાંત, પેટા ચૂંટણી વગરના વિસ્તારોમાં કર્મચારીઓની બદલી આચાર સંહિતાના નિયમો હેઠળ નહીં આવશે.
આ આચાર સંહિતાના તમામ નિયમો રાજય સરકાર, રાજકીય પક્ષો, ઉમેદવારો, સરકારી વિભાગો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને અન્ય સંબંધિત સંસ્થાઓ દ્વારા કડકપણે અમલમાં લાવવામાં આવશે. ભંગ કરનાર વિરુદ્ધ ચૂંટણી પંચ તથા સંબંધિત અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે.
આથી ૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પાળન સર્વે સામૂહિક જવાબદારી સાથે કરવાનું મુખ્ય નિર્વાચન અધિકારીએ સંસ્થાઓને અનુરોધ કર્યો છે.
અહેવાલ : નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ