રાજ્યના પ્રથમ નાગરિક અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે સંપૂર્ણ સાદગીભર્યા અભિગમથી વિસનગરથી આણંદ સુધી એસ.ટી. બસમાં સામાન્ય નાગરિકો સાથે મુસાફરી કરી ભાવનાત્મક સંદેશ આપ્યો છે.
આમ પરંપરાગત વીવીઆઈપી વ્યવસ્થાને રાખીને તેઓએ ઓર્ડિનરી બસમાં ઓનલાઇન બુકિંગથી મુસાફરી કરી, જેમાં ગાંધીનગરથી અમદાવાદ, નડિયાદ થઈને આજે સવારે 10:15 કલાકે આણંદ પહોંચ્યા હતા.
આ યાત્રા દરમિયાન રાજ્યપાલશ્રીએ મુસાફરો સાથે સરળ સંવાદ સાધ્યો અને પરિવહન સુવિધાઓ અંગે પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, “આ યાત્રા મને આત્મીયતા અને આનંદનો અનુભવ આપનાર રહી. સાચા અર્થમાં લોકો સાથેના સીધા જોડાણનો આનંદ કંઈક જુદો જ હોય છે.“
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં ભાગ લેવા માટે તેઓ આવી પહોંચ્યા હતા, જ્યાં જીલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિત જિલ્લા અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.
આ યાત્રા રાજ્યપાલશ્રીના જનતા સાથેના જીવંત જોડાણ અને સંવેદનશીલ પ્રશાસનના દ્રષ્ટાંત રૂપે જોવા મળે છે.