અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ
ગીર સોમનાથ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા દેવર્ષિ નારદ જયંતી નિમિત્તે પત્રકારો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન તા. ૨૫ મેના રોજ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી, જ્યારે મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત ગ્રામ વિકાસ સહ સંયોજક લક્ષ્મણભાઈ સોલંકી હાજર રહ્યા હતા.
લક્ષ્મણભાઈએ પોતાના સંબોધનમાં દેવર્ષિ નારદજીના જીવનની માહિતી આપતાં જણાવ્યું કે નારદજીને “પ્રથમ પત્રકાર” તરીકે માનવામાં આવે છે. તેઓ સત્ય, ધર્મ અને જાગૃતિના સંદેશવાહક હતા. તેમનું જીવન આજના પત્રકારો માટે આદર્શરૂપ છે. આજના સમયમાં પણ પત્રકારોનું કાર્ય માત્ર સમાચાર આપવાનું નહીં, પરંતુ સમાજ જાગૃતિનો મિશન છે.
તેમણે જણાવ્યું કે પત્રકારો સમાજ જાગરણના પાંચ મુખ્ય પ્રવાહો —
- સામાજિક સમરસતા,
- પર્યાવરણ સંરક્ષણ,
- સ્વદેશી ભાવના,
- કુટુંબ પ્રબોધન,
- નાગરિક કર્તવ્યો —
માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડી શકે, જે અત્યંત જરૂરી બન્યું છે.
કાર્યક્રમનું આયોજન પવનભાઈ ગુપ્તા (વેરાવળ પ્રચાર કાર્યકર્તા) દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુલ ૨૨ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નારદજીના આદર્શોને અનુસરી સકારાત્મક પત્રકારત્વના સંકલ્પ સાથે પોતાની જવાબદારી નિભાવાનું સંકલ્પ લીધો હતો.