🧘‍♂️ કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, ‘વન અર્થ વન હેલ્થ’ થીમ સાથે યોગ સંદેશનો પ્રસાર

કેશોદ:

સામાજિક ન્યાય અને અધિકારિતાની સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે આજે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાયો હતો. યોગદ્વારા સમગ્ર વિશ્વને આરોગ્ય અને સ્વસ્થતા તરફ ઉદ્બોધન થતું જાય છે તે સંદર્ભે “વન અર્થ, વન હેલ્થ” થીમ પર બે દિવસીય યોગ આયોજન હાથ ધરવામાં આવ્યું.

શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ, અને ક્રીડા ભારતી – સૌરાષ્ટ્ર પ્રાંતના યોગપ્રેમીઓ જોડાયા હતા. કોમન યોગ પ્રોટોકોલના અનુસરણ સાથે યોગાભ્યાસ કરાયો અને સર્વાંગી વિકાસ સાથે શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનશૈલીમાં શામેલ કરવાનો સંદેશ આપવામાં આવ્યો.

શાળાના આચાર્ય શ્રી બી.એસ. ભાવસારએ ઉપસ્થિતોને શુભેચ્છા પાઠવી. જ્યારે જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડો. હમીરસિંહ વાળાએ જણાવ્યું કે, “વિશ્વને ભારતે યોગ રૂપે સ્વાસ્થ્યની અમૂલ્ય ભેટ આપી છે. નિયમિત યોગથી જીવનમાં સંતુલન અને શાંતિ મેળવી શકાય છે.”

કાર્યક્રમમાં એમ.ડી. દાહીમા, સી.આર.સી. રાજ નંદાણીયા, હીરાભાઈ મૂછાળ, ગીરીશભાઈ, દિનેશભાઈ, વિજયસિંહ વાળા સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગ કોચ તરીકે સંગીતાબેન કુંભાણી અને મિતલબેન રાદડિયાએ યોગ સત્રનું સંચાલન કર્યું.

અંતે, જિલ્લા નાયબ નિયામક શ્રી પી.ડી. સરવૈયા, મદદનીશ સમાજકલ્યાણ અધિકારી શ્રી એ.કે. રાઠોડ તેમજ જિલ્લા કચેરી દ્વારા પણ સમગ્ર આયોજનને શુભેચ્છા પાઠવવામાં આવી.

📝 અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ