દ્વારકા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ભાણવડના માતા-પુત્રના કરૂણ મોત.

અમદાવાદમાં થયેલી પેસેન્જર પ્લેન દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા (ઉંમર: 25 વર્ષ) અને તેમના પુત્ર ક્રિયાંશ (ઉંમર: 3 વર્ષ)નું કરૂણ મોત નિપજ્યું છે.

પ્લેનમાં રિદ્ધિબેન અને તેમના પુત્ર સીટ નંબર 31A અને 31B પર મુસાફરી કરી રહ્યા હતા. તેમના ટિકિટ નંબર ક્રમશઃ 52 અને 53 હતા, જે પ્લેન દુર્ઘટનાના પછી જાહેર કરાયેલ અધિકૃત યાદીમાં સામેલ છે.

હરીશભાઈ ગોઢાણીયા પરિવાર સાથે લંડનમાં નિવાસ કરતાં હતા. અંગત કારણોસર રિદ્ધિબેન અને પુત્ર ભારત આવ્યા હતા અને પાછા લંડન જવા રવાના થયા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર પરિવાર અને સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દુર્ઘટનાની જાણ થતા જ ભાણવડ મામલતદાર એ.પી. ચાવડા, નગરપાલિકા ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખ સહિતના પ્રતિનિધિઓ પરિવારમાં પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને આ દુઃખના પ્રસંગે સાંત્વના આપી અને તમામ જરૂરી સહાય આપવાની ખાતરી આપી.


સંવાદદાતા – ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા