UCC અને વકફ એક્ટ 2025ના વિરોધમાં ડભોઇમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિમય બંધ અને મૌન રેલી – નાયબ કલેકટરને અપાયું આવેદનપત્ર!

ડભોઇ શહેરે આજે એક શક્તિશાળી છતાં શાંતિમય વિરોધની સાક્ષી આપી, જ્યાં સમગ્ર મુસ્લિમ સમાજે ભારત સરકારના નવા વકફ એક્ટ 2025 અને ગુજરાતમાં અમલમાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો કઠોર વિરોધ નોંધાવ્યો.

ડભોઇ શહેરના કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ આજે મુસ્લિમ સમાજના વેપારીઓ અને વ્યવસાયિકોએ પોતાની દુકાનો બંધ રાખી, હાથમાં કાળી પટ્ટી બાંધી અને શાંતિપૂર્ણ મૌન રેલી યોજી હતી. રેલી શહેરની જુમ્મા મસ્જિદથી શરૂ થઈને લાલબજાર ટાવર અને ત્યાંથી તાલુકા સેવાસદન સુધી યોજાઈ હતી, જ્યાં અંદાજે બે કિલોમીટર લાંબી રેલીમાં હજારો લોકો સામેલ થયા હતા.

આગેવાનોએ મામલતદાર શ્રી પી.આર. સંગાડા ને નાયબ કલેક્ટરશ્રીના વતી આવેદનપત્ર આપી સરકાર સુધી પોતાની માંગ પહોચાડવા રજૂઆત કરી. મુસ્લિમ સમાજના આગેવાનો જેમ કે ઇબ્રાહીમભાઇ ખત્રી, લાલાભાઇ હાજી મહુડાવાળા, વકીલ આરીફભાઇ મકરાણી, સઈદભાઈ લોટવાલા, વકીલ જુનેદભાઈ શેખ, જાવેદભાઈ પઠાણ, યાકુબભાઈ દિવાન, હાફિઝ ઇલ્યાસ અત્તરવાળા, મકબુલભાઇ મુલ્લા અને અન્ય આગેવાનોએ જણાવ્યું કે નવા કાયદાઓથી સમાજમાં ભય અને અસંતોષ ફેલાયો છે.

તેમણે જણાવ્યું કે વકફ બોર્ડના કાયદામાં કરાયેલા ફેરફારો અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડના અમલથી સમાજના હક્કોને નુકસાન થઈ શકે છે, અને આ નિર્ણય પાછો ખેંચવામાં ન આવે તો રાજ્યભરમાં આંદોલન પણ થઈ શકે છે.

આ રેલી દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો.

રિપોર્ટર: વિવેક જોષી, ડભોઇ