અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા – ૨૦૨૪-૨૫માં ભાગ લેવા સ્પર્ધકોએ તા.૧૫ ઓક્ટોમ્બર સુધીમાં અરજી કરવી.

જૂનાગઢ

ગુજરાત રાજયના રમત-ગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્‍લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્‍યુઆરી – ૨૦૨૫ ના પ્રથમ અઠવાડીયા દરમ્યાન જૂનાગઢ માં ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાશે.

આ સ્‍પર્ધામાં સ્‍પર્ધકો ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર – જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે બન્‍ને વિભાગના ભાઇઓ માટેની સ્‍પર્ધા ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બન્‍ને વિભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઇઓની સ્‍પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્‍પર્ધા માટે ૧-૧૫ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્‍પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્‍પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.

આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્‍લાની જિલ્‍લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી થી રૂબરૂમાં મળશે. તેમજ વધુમાં જિલ્‍લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બ્‍લોક નં.૧, પ્રથમ માળ બહુમાળી ભવન સરદાર બાગ જૂનાગઢ ખાતેથી પણ વિના મૂલ્‍યે મળી શકશે. તેમજ Facebook Id –Dydo Junagadh પરથી ઓનલાઇન મળી શકશે. દરેક સ્‍પર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્‍યા મુજબની પૂરી વિગતો સાથે જિલ્‍લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે કચેરીના ચાલુ દિવસ દરમિયાન તા.૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્‍વીકારવામાં આવશે નહીં. સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.(૦૨૮૫)૨૬૩૦૪૯૦ નો સંપર્ક કરવો

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)