કરજણ (જિલ્લો વડોદરા), તા. 15 મે,
ભારત સરકાર દ્વારા તાજેતરમાં આતંકવાદ વિરોધી સફળ ‘ઓપરેશન સિંદુર’ બાદ સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિની લાગણીઓ ઉત્તેજિત થઈ છે. આ ભાવનાને અનુરૂપ, વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શહીદ જવાનોની યાદમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
યાત્રાની શરૂઆત કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલી જૂની સિવિલ કોર્ટ નજીક ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન કાર્યકરો હાથે તિરંગો લઈને, દેશભક્તિના નારા લગાવતા શહેરના મુખ્ય માર્ગો પર ગૌરવમય પગલાં ભર્યા હતા.
યાત્રા અંતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
તમેજુ, શહેર અને તાલુકાના આગેવાનો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. જેમાં કરજણના ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ, નગર પાલિકા સભ્યો, તેમજ ફાયર બ્રિગેડ સ્ટાફ અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના કાર્યકરોમાં શહીદો પ્રત્યે ગૌરવ અને કૃતજ્ઞતાની ભાવનાઓ જોવા મળી હતી.
“આજના યુગમાં શહીદોની યાદમાં રાષ્ટ્રીય જાગૃતિ ખૂબ જરૂરી છે. ‘ઓપરેશન સિંદુર’ ભારતની શક્તિશાળી અને સુરક્ષિત સ્થિતિનો પ્રતીક છે. અમે શહીદોનો આભાર વ્યક્ત કરવા આ યાત્રા યોજી છે.”
અહેવાલ: મનોજ દરજી, કરજણ