જુનાગઢ:
કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં રાત્રિના સમયે એક સાડા નવ ફુટ લાંબા મહાકાય મગરમચ્છનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઘટના દરમિયાન ખેતરમાં કામ કરતા મજૂરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
વિગત મુજબ, શેરગઢ ગામના વાડી વિસ્તારના મજૂરોને રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ મગરમચ્છ દેખાયો હતો. મજૂરોના બાળકો સાથે હાજર હોવાને પગલે ભયભીત મજૂરોએ તત્કાલ ખેતરના માલિક સુભાષભાઈ ડોબરીયાને જાણ કરી. ખેતરના માલિકે તરત જ ગામના જીવદયાપ્રેમી મહેશભાઈ છેલાવડાને માહિતી આપી, જેમણે તરત વનવિભાગને જાણ કરી હતી.
સ્થાનિક નદીમાં ઉપરવાસમાંથી આવેલા પૂરના કારણે મગર ખેતરની તરફ આવી પહોંચ્યો હોવાનું અનુમાન છે. સામાન્ય રીતે નાના મગરમચ્છોના રેસ્ક્યૂમાં ખાસ જટિલતા આવતી નથી, પરંતુ આ વખતે મહાકાય મગર હોવાથી વનવિભાગે પીજરાની વ્યવસ્થા સાથે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી.
આ ઓપરેશનમાં લાયન્સ નેચર ક્લબના યુવાનો નીરવ લશ્કરી, પાર્થભાઈ, મહેશભાઈ અને હાર્દિકભાઈ જેવી ટીમે 3 કલાક સુધી રાત્રે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક મગરને પકડી એનિમલ કેર સેન્ટરમાં મોકલ્યો હતો.
ચોમાસા દરમ્યાન શેરગઢ અને આસપાસના વિસ્તારોમાં આવા પશુઓના ખેતરમાં પ્રવેશવાની ઘટનાઓ વધી રહી છે. તંત્ર અને વનવિભાગે ખેતમજૂરોને સાવચેત રહેવાની અપીલ કરી છે, ખાસ કરીને રાત્રિના સમયમાં.
📹 કેમેરામેન: રાવલિયા મધુ
📝 અહેવાલ: જગદીશ યાદવ – જૂનાગઢ