કેશોદમાં અંડરબ્રીજના ચાલતાં કામમાં શ્રમિક પડી જતાં મોત નીપજ્યું.

કેશોદ

કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક પર ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ફાટક મુકત કરવા ખાતમુહુર્ત કર્યા પછી મુદત પૂરી થવા છતાં ચાલતાં અંડરબ્રીજ ના કામમાં આજે વહેલી સવારે શ્રમિક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં મોતને ભેટયા હતાં. કેશોદના ચારચોક રેલ્વે ફાટક પાસે આવેલ પ્રોવિઝન સ્ટોર ના ઓટા પર સુતેલા વિજયભાઈ કાનાભાઈ ચારોલીયા ઉમર વર્ષ ૪૦,રહેવાસી કોર્ટ પાછળ કેશોદ,પલાસ્ટર માં મજૂરી કામ કરતાં હોય કોઈપણ કારણોસર ગબડી પડતાં અંડરબ્રીજ ના સળીયા ખિલાસરી મા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

કેશોદમાં લાંબા સમયથી ચાલતું અંડરબ્રીજ નું કામ અંતે ગોઝારુ સાબિત થયું.

વહેલી સવારે પસાર થતાં રાહદારીઓ અને વેપારીઓ ને ધ્યાને આવતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતાં વિજયભાઈ કાનાભાઈ ચારોલીયા નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદના ચારચોક વિસ્તારમાં વહેલી સવારે બનેલી ઘટના ના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ટોળેટોળાં ઉમટી પડયા હતાં. કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતાં અંડરબ્રીજના કામમાં વહીવટી મંજૂરી ના વાકે કામ ખોરંભે પડયું છે ત્યારે આજે એક નિદોર્ષ શ્રમજીવીએ જીવ ગુમાવતાં ગોઝારો પુરવાર થયો છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)