કેશોદમાં વહીવટી તંત્ર દ્વારા 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉલ્લાસભેર ઉજવાયો.

કેશોદ શહેરમાં વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.

આ પ્રસંગે કેશોદના વેરાવળ રોડ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટ ખાતે નગરપાલિકાના યજમાનપદે વિશાળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કર્યો.

યોગ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવતાં કચેરી અધિક્ષક શ્રી પ્રવિણભાઈ વિઠ્ઠલાણીએ યોગને માત્ર એક દિવસ સુધી મર્યાદિત ન રાખી, દરરોજની જીવનશૈલીમાં શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ સાધનાને અપનાવવાની અપીલ કરી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2015થી થઈ હતી, જેનો પ્રસ્તાવ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં આપ્યો હતો. 21 જૂનના દિવસે યોગ દિવસની ઉજવણીનો ખાસ અર્થ છે, કારણ કે તે ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે અને આધ્યાત્મિક રૂપે પણ મહત્વ ધરાવે છે.

યોગ એ માત્ર કસરત નહિ પણ જીવનને સંતુલિત અને શાંતિમય બનાવતી પ્રાચીન ભારતીય વિધા છે. કોરોના મહામારીના સમયગાળામાં પણ યોગ સાધનાથી અનેક દર્દીઓને આરોગ્યલાભ મળ્યો છે.

કેશોદ નગરપાલિકા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા યોગ અંગે લોકોને જાગૃત બનાવવાનો અને યોગને જીવનશૈલીમાં શામેલ કરાવવાનો સુંદર સંદેશ આપાયો હતો.

અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ