કેશોદ (જૂનાગઢ):
૨૦૨૫ના ૧૨ જૂનના રોજ અમદાવાદના મેણાાણીનગર વિસ્તારમાં Air Indiaના વિમાન દુર્ઘટનામાં ઘટેલી કરુણ અને આઘાતજનક ઘટનામાં 280થી વધુ લોકોનાં દુઃખદ અવસાન થયા છે. દેશભરમાં શોકની લાગણી વચ્ચે કેશોદ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓએ આઝાદ ક્લબ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું.
આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે. તેમના સહિત તમામ મૃતકોની આત્માની શાંતિ માટે કેશોદ ખાતે પુષ્પાંજલિ, હૃદયાંજલિ અને બે મિનિટ મૌન ધારણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
આ શ્રદ્ધાંજલિ સભામાં આઝાદ ક્લબ, રોટરી કલબ, ભારત વિકાસ પરિષદ, સમ્યક સેવા સમિતિ, જલારામ સેવા ટ્રસ્ટ, તેમજ પ્લાસ્ટિક અને ડિસ્પોઝલ એસોસિએશન સહિત અનેક સેવાકીય સંસ્થાઓના હોદેદારો અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ડૉ. હમીરસિંહ વાળા, ડૉ. સ્નેહલ તન્ના, આર.પી. સોલંકી, જેન્તિભાઈ ધૂળા, બી.સી. રાયજાદા, દિનેશભાઈ કાનાબાર, ભરતભાઈ કક્કડ, જીતુભાઈ ધોળકિયા અને જગમાલ નંદાણીયા જેવા આગેવાનો હાજર રહી શોકભાવના વ્યક્ત કરી હતી.
ભાજપના પૂર્વ નેતાઓ સહિત દેશના અનેક ભાગોમાંથી આવેલા મુસાફરોના અવસાનથી રચાયેલી આ દુઃખદ પરિસ્થિતિમાં, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોના ઝડપથી સાજા થવા માટે પણ પ્રાર્થના કરાઈ હતી.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાવવિભોર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
અહેવાલ: રાવલિયા મધુ – કેશોદ