ગીર સોમનાથ જિલ્લામાં શૈક્ષણિક અને પર્યાવરણીય જાગૃતિ માટે એક સરાહનીય પહેલ રૂપે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ પટેલની અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ “હરિયાળું ગીર સોમનાથ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાં કુલ 1000 જેટલા વૃક્ષોનાં રોપાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે TPEO શ્રી હરદાસભાઈ નંદાણીયા અને BRC શ્રી કિશોરભાઈ સોલંકી દ્વારા તમામ શાળાઓને આ રોપાં પહોંચાડવામાં આવ્યા હતા. ઉપરાંત, બેઠક દરમિયાન આગામી કન્યા કેલવણી મહોત્સવ, પ્રવેશોત્સવ તેમજ શાળાકીય પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદની દુર્ઘટનામાં દૈવીઅકાળે મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને તમામ શિક્ષકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણવિભાગ દ્વારા આવી હરિત પહેલ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સમાજપ્રતિ સર્જનશીલ જવાબદારી વિકસાવે તેવો પ્રયાસ છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, (વેરાવળ)