જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ.

જૂનાગઢ

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા ની અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.

ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમા તા.૧૨ નવેમ્બરના રોજ પ્રારંભ થશે.ત્યારે જિલ્લાવહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાવિકોને ગિરનાર લીલી પરિક્રમાના ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે અને તિથિએ પરિક્રમા શરૂ કરવા ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રી એ સૂચના આપી હતી. ઉપરાંત નળ પાણી ની ઘોડીએ ભાવિકોના થતા ઘસારાને ધ્યાન રાખી વીજળી પાણીની સુવિધા સાથે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ પરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી દિવાળીના તહેવાર પૂર્વે જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરશ્રીએ સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. પર્યાવરણ જાળવણી માટે સેવાકીય સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવશે.

આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી ઉપરાંત દૂધ સહિતનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારી લેવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસી એલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)