જિલ્લામાં ‘સ્ટોપ ડાયેરિયા કેમ્પેઈન’ વેગવંતુ બન્યું, બાળકોના આરોગ્ય માટે આરોગ્ય વિભાગ સજાગ

સોમનાથ: જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોમાં થતા ડાયેરિયાના નિયંત્રણ માટે ‘સ્ટોપ ડાયેરિયા કેમ્પેઈન’ ચાલી રહ્યું છે. વર્ષ 2014થી આરંભાયેલું આ અભિયાન આ વર્ષે પણ વધુ વેગવંતુ બન્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ 16 જૂનથી 31 જુલાઈ સુધી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રો, આયુષ્યમાન આરોગ્ય મંદિર અને સેજાના ગામોમાં ડાયેરિયા સામે જાગૃતિ પેદા કરવામાં આવી રહી છે.

‘ડાયેરિયાને નિયંત્રિત કરો, સ્વચ્છતા રાખો’ થિમ હેઠળ લોકોમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે. આરોગ્ય તજજ્ઞોના જણાવ્યા અનુસાર, 0 થી 5 વર્ષના બાળકોના મોતમાં આશરે 15% કારણ ડાયેરિયા બને છે. તે કારણે જિલ્લામાં ઝાડા-ઉપચાર માટે ખાસ ઝીંક અને ઓ.આર.એસ. કોર્નર ઉભા કરવામાં આવ્યા છે.

આશા બહેનો ઘરઘર જઈ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરી રહી છે તેમજ સ્વચ્છતાની વિસ્તૃત જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી બહેનો દ્વારા ગૃહમુખી મુલાકાત લઈ ડાયેરિયા સામે સજાગતા અને રાહત માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. પી.એન. બરુઆએ જણાવ્યું કે, “બાળકોમાં ઝાડાને રોકવા માટે સમયસર યોગ્ય સારવાર, સ્વચ્છતા અને ઓ.આર.એસ.નો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે.”

આ સમગ્ર અભિયાનનું મુખ્ય લક્ષ્ય બાળકમૃત્યુદરમાં ઘટાડો લાવવા અને દરેક પરિવારમાં આરોગ્ય પ્રત્યે સજાગતા લાવવાનો છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ