જી.એસ.ટી.ના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાહિત કેસમાં નાસતો ફરતો આરોપી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના હાથે પકડાયો.

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જી.એસ.ટી.ને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસતો ફરતો આરોપી રીયાઝખાન ઇસ્માઇલખાન પઠાણને ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મૂળ ભાયંદર, મુંબઈનો રહેવાસી છે અને હાલ ભાવનગરના અમીપરા પખાલીવાડ વિસ્તારમાં રહેતો હતો.

આ મામલે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા એસપી ડો. હર્ષદ પટેલ દ્વારા નાસતાં ફરતાં આરોપીઓને ઝડપવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે પાલીતાણા એસ.ટી. બસ સ્ટેશનના ગેટ સામે જાહેર રોડ પરથી આરોપી રીયાઝખાનને પકડી લીધો હતો.

આરોપી સામે IPC કલમ 406, 420, 467, 468 અને 120 બી સહિત ગુનો નોંધાયેલો છે. કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાલા તથા પી.બી. જેબલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભૈયપાલસિંહ ચુડાસમા, સોહીલભાઈ ચોકીયા, હસમુખ પરમાર સહિતના જવાનો પણ શામેલ રહ્યા.

આ કાર્યવાહીને લઇ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરીને પ્રશંસા મળી રહી છે અને નાસતાં ફરતાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

અહેવાલ: જગદીશ યાદવ (જૂનાગઢ)