જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ દ્વારા પ્રદર્શની અને વર્કશોપ યોજાયો.

જૂનાગઢ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગ દ્વારા શહેરનાં સી.એલ.. કોલેજ પરિસરમાં કાર્યરત ભક્ત કવિ નરસીંહ મહેતા યુનિ.નાં ઈતિહાસ વિભાગનાં મધ્યસ્થ ખંડમાં જૂનાગઢનાં ઈતિહાસને લગત ચિત્રોની પ્રદર્શન ગેલેરી અને કાર્યશાળા યુનિ.નાં કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. પ્રસંગનાં અધ્યક્ષીય ઉદબોધનમાં કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદીએ ઉપસ્થિત ઈતિહાસ વિદોને સંબોધતા જણાવ્યુ હતુ કે આપણે જાણીએ છીએ તેમ સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનાં અભ્યાસને આપણે ઈતિહાસ તરીકે ઓળખીએ છીએ.આવા અભ્યાસ કરનાર કે લખનાર વિદ્ધાનોને “ઇતિહાસકાર” કહે છે. આ સંશોધનનું ક્ષેત્ર છે જ્યાં કર્ણોપકર્ણ કથાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથ્થકરણ કરાય છે, અને તે મોટાભાગે ઘટનાઓનાં કારણ અને પ્રભાવની રૂપરેખાનું વાસ્તવિક સંશોધન કરવાનો પ્રયાસ કરે છે. ચાણક્યનું કથન છે કે “જે લોકો ભૂતકાળ યાદ રાખતા નથી તે પોતાની અસ્મિતાને નકારે છે”. કોઇ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ, કે જેનું કોઇ બાહ્ય સંદર્ભિય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિધાશાખામાં “સાંસ્કૃતિક વારસો” શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય છે. સમાજ સાથે સંબંધિત માનવજીવનની ભૂતકાળ ની પ્રવૃત્તિઓનું નિરૂપણ, વિશ્લેષણ અને અર્થઘટન કરતું શાસ્ત્ર આમ જોઇએ તો વર્તમાન માનવજીવન સાથે તેને ઘનિષ્ઠ સંબંધ છે. ઇતિહાસ ભૂતકાળ તથા વર્તમાનકાળ વચ્ચેનો અતૂટ સંવાદ છે. તેમાં કોઈ ઇતિહાસકારે રાજકીય, કોઈકે સામાજિક, બીજા કોઈકે ધાર્મિક, નૈતિક કે આદર્શવાદી, આર્થિક, સાંસ્કૃતિક પાસાને વિશેષ મહત્વ આપેલું છે. વાસ્તવમાં ઇતિહાસ એ આ બધાં પાસાંનો સરવાળો છે. ડો.ત્રિવેદી એ આ પ્રસંગે યુનિ. દ્વારા આવનાર દિવસોમાં સમયની માંગ મુજબ પ્રવાસન લગત વિષયો પર ભાર આપી નવા અભ્યાસક્રમોની ભુમિકા રજુ કરી હતી. જૂનાગઢ મ્યુનિ. કમિશ્નરશ્રીનાં દુરોગામી વિઝનની સહારના કરતા પ્રો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે જૂનાગઢ -ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં આર્કીયોલોજીકલ અનેક સ્થાપત્યો ઈતિહાસની સાક્ષી પુરે છે ત્યારે જૂનાગઢ નગરી હેરીટેઝ નગર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરે એ દિશામાં યુનિ. હમેશા સહયોગી બની રહેશે.

ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલો ફોટો પ્રદર્શનને અનાવરણ કરી ખુલ્લુ મુકી સંશોધનમાં પ્રાદેશિકતાને પ્રાધાન્ય આપતા કાર્ય શાળાના પ્રારંભ પ્રસંગે રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી ડો. બાલમુકુંદ પાંડે અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ યોજના નવી દિલ્હીથી પધારીને બીજરૂપ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ઇતિહાસને માનવજીવન સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી માનવ જીવનના પરિવર્તનની સાથે ઇતિહાસનું સ્વરૂપ પણ બદલાય છે. પ્રાચીન યુગમાં રાજાશાહી પ્રબળ હોવાથી ઇતિહાસ બહુધા રાજવંશોનાં ઉત્થાન અને પતન તથા યુદ્ધો અને તવારીખોનો વિશેષત: વર્ણનાત્મક અહેવાલ રહ્યો. મધ્ય યુગમાં સામંતશાહી તથા ધર્મસત્તાનું પ્રાબલ્ય વધતાં ઇતિહાસના ગ્રંથોમાં અમીરશાહી અને ધર્મસત્તાનું વર્ણન વિશેષ રહ્યું, જ્યારે ફ્રેન્ચ ક્રાંતિ બાદ રાષ્ટ્રવાદ અને લોકશાહીનાં પરિબળોનો ઉદય થતાં ઇતિહાસ માં સામાન્ય મનુષ્યને સ્થાન મળ્યું. વૉલ્તેર અને રુસો જેવા ફ્રેન્ચ ચિંતકોએ ઇતિહાસને માનવ સમાજના અહેવાલ તરીકે ઘટાવ્યો હતો. ઈતિહાસને સમજવો જરૂરી છે. ઈતિહાસ સ્થાનિક માનવજીવન સાથે સંકળાયેલ છે. સ્થાનિય ઈતિહાસ ની તવારીખ થી જ સંસ્કારીતા અને સંસ્કૃતિની ઓળખ બનતી જોવા મળે છે.

કાર્યશાળાને દિપ પ્રાગટ્યથી ઉદઘાટીત કરનાર મહાનગર પાલીકાના કમિશ્નર ડો. ઓમ પ્રકાશે પ્રસંગોચિત્ત વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે જૂનાગઢનાં નામમાં જ ઇતિહાસ છુપાયેલ છે. અનેક સ્થાપત્યો અને ભવ્ય ભુતકાળને સંગ્રહિત રાખનાર જૂનાગઢ અને ગિરવર ગિરનાર ભારતવર્ષની શ્રેષ્ઠત્તમ સંશોધનાત્મક ભુમિ હોય શકે. અહીંનાં ભવ્ય વારસાને નિરખીએ તો એવુ અચુક અનુભવી શકાય કે જૂનાગઢ હેરીટેઝ નગર તરીકે પ્રસ્થાપિત થવામાં ક્યાંય ઘટે એમ નથી. જૂનાગઢમાં ધાર્મિક ઉત્સવો અને સ્થાપત્યોનો ભવ્ય વારસો છે. અહીં પર્યટનનની વિપુલ તકો છુપાયેલી છે. બસ તેને ઉજાગર કરવા સૈાએ સાથે મળી સહિયારા પ્રયાસથી આગળ વધવુ જરુરી છે.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર જુનાગઢના કોઠારી સ્વામીશ્રી ધર્મવિનય સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં કોમર્સ કોલેજનાં ઈનચાર્જ આચાર્ય ડો. કાનાણી, રસાયણ વિભાગનાં વડા પ્રો.અતુલ બાપોદરા, ધંધુકા કોલેજનાં ડો. ડાભી અને ડો. ગોહિલ, સુભાષ મહિલા કોલેજ નાં પ્રિન્સીપાલ પ્રો.બલરામ ચાવડા, સહિત ઈતિહાસ સાથે સંકળાયે સંશોધકો, વિદ્યાર્થીઓ અને ઈતિહાસમાં રસ ધરાવતા પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે અતિથિઓને આવકાર અને કાર્યક્રમની ભૂમિકા વર્ણવતા ઇતિહાસ વિભાગના વડા પ્રો. વિશાલ જોશીએ જણાવ્યું હતું કે જૂનાગઢની સંસ્કૃતિ ભૂતકાળના વિવિધ શાસન રાજવંશોના પ્રભાવને કારણે રસપ્રદ છે. આ પ્રભાવ આર્કીટેક્ચર, તહેવારો, રિવાજો તેમજ તેમની કળા અને હસ્તકળામાં સ્પષ્ટ થાય છે. બૌદ્ધ ગુફા સમૂહો, નવઘણ કુવો, અડી-કડી વાવ, દમોદરકુંડ, અશોકનો શિલાલેખ, જૈન દેરાસર, ઉપરકોટ, મકબરો અને શહેરની અન્ય વારસો સાઇટ્સમાં આર્કિટેકચરલ પ્રભાવોની પ્રભાવશાળી વિવિધતા જોઈ શકાય છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રદર્શન ગેલેરીમાં ઈતિહાસને ઉજાગર કરતી કૃતિઓ રજુ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનાં પ્રારંભે પ્રદર્શન ગેલેરીમાં પ્રસ્તુત ફોટો પ્રદર્શનની વિભાવના ચિલ્ડ્રન યુનિ.નાં પ્રાધ્યાપક ડો.રાજેશ ચૌહાણે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. રમેશ ચૈાહાણે અને આભાર દર્શન ડો. વિશ્વજીત કવાએ કર્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)