ઝઘડિયા મામલતદાર વય મર્યાદાને લઇને નિવૃત થતાં ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહ યોજાયો.

ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ પરમાર આજરોજ વય મર્યાદાને લઇને નિવૃત થતા ઝઘડિયા તાલુકા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા તેમને વિદાય સહ સન્માન આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિયનના ભરૂચ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર (નીલુભાઇ) ની આગેવાની હેઠળ યોજાયેલ આ વિદાય સમારોહમાં પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ઉપપ્રમુખ દેવીસિંહ વસાવા તેમજ તાલુકાના વિવિધ ગામોએથી આવેલ યુનિયનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશભાઇ પરમારને ફુલહાર અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા,ઉપરાંત યુનિયન દ્વારા વિદાય લેતા મામલતદાર પરમારને સાલ ઓઢાડીને સન્માન સહ વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદાય લેતા મામલતદાર રાજેશ પરમારે ઝઘડિયા મામલતદાર તરીકેના તેમના ૧૧ મહિનાના કાર્યકાળને યાદ કરીને તાલુકાના નાગરિકો,દુકાનદારો તેમજ સહકર્મચારીઓએ આપેલ સહયોગને યાદ કર્યો હતો,અને ઝઘડિયા ફેર પ્રાઇસ શોપ યુનિયનની સરાહનીય કામગીરીને આવકારીને વધુમાં જણાવ્યું હતું કે મારા મામલતદાર તરીકેના સમયગાળા દરમિયાન કોઇપણ ગ્રાહક દ્વારા કોઇ દુકાનદાર બાબતે ફરિયાદ મળી નથી જે સારી બાબત ગણાય. ઉપરાંત નિવૃત્તિ બાદ પણ ઝઘડિયા તાલુકા મામલતદાર તરીકેના સમય દરમિયાન સહુએ આપેલ પુરો સહયોગ તેમને હંમેશા યાદ રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ યુનિયન પ્રમુખ અને સામાજિક આગેવાન નરેન્દ્રસિંહ પરમાર (નીલુભાઇ) એ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)