ગાંધીનગર તા. 21 ઓગસ્ટ – રાજ્યની સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫’ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ પ્રતિયોગિતા દ્વારા ગણેશ મહોત્સવને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો ઉદ્દેશ્ય છે.
👉 આ સ્પર્ધા બે ખાસ થીમ પર આધારિત રહેશે :
‘ઓપરેશન સિંદૂર’ – દેશભક્તિ અને સૈનિકોના શૌર્ય પર આધારિત સુશોભન.
વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન હેઠળ સ્વદેશી વસ્તુઓના ઉપયોગનું પ્રોત્સાહન.
📍 પુરસ્કારો :
ચાર મહાનગરો (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ) અને રાજ્યના બાકીના 29 જિલ્લાઓમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.
પ્રથમ ક્રમ – ₹૫,૦૦,૦૦૦
દ્વિતીય ક્રમ – ₹૩,૦૦,૦૦૦
તૃતીય ક્રમ – ₹૧,૫૦,૦૦૦
ઉપરાંત પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને પ્રતિ ₹૧,૦૦,૦૦૦ એનાયત થશે.
કુલ મળીને ₹૫૨.૫૦ લાખના રોકડ પુરસ્કારો વિતરણ થશે.
📍 મૂલ્યાંકનના માપદંડ :
પંડાલનું સુશોભન અને સામાજિક સંદેશ,
ઈકો-ફ્રેન્ડલી પ્રતિમા,
થીમ આધારિત રજૂઆત,
સ્થળની સુવિધા અને જાહેર અવરજવર,
વહીવટી મંજૂરી તથા પંડાલ દ્વારા થતી લોકજાગૃતિ પ્રવૃત્તિઓ.
ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અને જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મૂલ્યાંકન સમિતિ કાર્ય કરશે.
📍 ભાગ લેવા માટે :
આયોજકોને નિયત ફોર્મ જિલ્લા કક્ષાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, નિર્ધારિત સમયમર્યાદામાં જમા કરાવવું પડશે.
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “દેશમાં પ્રથમવાર આ પ્રકારની પહેલ થવા જઈ રહી છે. આથી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળશે અને ‘ઓપરેશન સિંદૂર’ જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ મજબૂત બનશે.”
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ