નવસારી શહેરમાં તાજેતરમાં લેવાયેલા રવિવારી હાટ બજાર બંધ કરવાનો નિર્ણયથી નાના અને ગરીબ વેપારીઓમાં મહામુશ્કેલી સર્જાઈ છે. આ હાટ બજાર તેમના રોજગારીનું મહત્વનું સાધન છે, જ્યાંથી તેઓ પોતાનું અને પરિવારનું જીવન ચાલાવે છે.
બજાર બંધ થવાના કારણે આ વેપારીઓની આજીવિકા પર ગભરાટ પેદા થઈ છે અને તેઓ આર્થિક સંકટમાં ફસાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં લેતા નવસારી હ્યુમન રાઈટ પ્રોટેક્ટ સેલના મીડિયાએ ઓફિસર આરીફ શેખે તેમજ વેપારી મંડળના પ્રતિનિધિઓએ નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું અને મૌખિક રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં જણાવ્યું હતું કે રવિવારી હાટ બજાર વેપારીઓ માટે રોજગારીનું એકમાત્ર સાધન છે અને તેને અચાનક બંધ કરવાથી તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ બજાર ફરી શરૂ કરવા માટે યોગ્ય વ્યવસ્થાનો સંપર્ક કરવા વિનંતી કરી હતી.
નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ આ રજૂઆતને ગંભીરતાથી લીધા અને કહ્યું કે તેઓ સ્થળનું નિરીક્ષણ કરીને યોગ્ય વ્યવસ્થા કરાશે અને ટૂંક સમયમાં જ રવિવારી હાટ બજાર ફરીથી શરૂ કરવામાં આવશે. આ ખાતરી સાંભળીને વેપારીઓમાં રાહતનો શ્વાસ ફૂંકાયો છે અને તેમણે આશા વ્યક્ત કરી છે કે તેમના જીવન અને રોજગારીને લગતી સમસ્યાઓ ઝડપથી દુર કરવામાં આવશે.
હાલ નવસારી મહાનગરપાલિકા તરફથી રવિવારી હાટ બજાર પુનઃપ્રારંભની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
અહેવાલ : આરીફ શેખ, નવસારી