નવસારી શહેરમાં આજે “સંકલ્પથી સિદ્ધિ સુધી” કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદીની સરકારના 11 વર્ષના સુશાસન, સેવા અને વિકાસના કામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
નવસારી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે ભરૂચના પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ હાજરી આપી હતી. તેઓએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. ભારત હવે વિકાસશીલ નહીં પણ વિકસિત ભારત બનવાની દિશામાં ગતિશીલ છે.
મારૂતિસિંહે જણાવેલ કે છેલ્લા 11 વર્ષમાં સરકાર દ્વારા અનેક ઐતિહાસિક પગલાં લેવામાં આવ્યા છે જેમ કે:
- 55 કરોડથી વધુ જનધન ખાતા ખોલાયા.
- 10 કરોડ ગરીબ માતાઓને મફત ગેસ જોડાણ.
- જન ઔષધિ યોજના હેઠળ 38 હજાર કરોડ રૂપિયા બચાવ્યા.
- 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર નીકળ્યા.
- ડિજિટલ પેમેન્ટમાં ભારત વિશ્વમાં અગ્રેસર.
- મુદ્રા યોજના હેઠળ 70% લાભાર્થી મહિલાઓ છે.
- ખેડૂતોના ખાતામાં 44 લાખ કરોડની સહાય પહોંચાડી.
- રોજના 34 કિ.મી. રોડ નિર્માણ, જ્યારે 2014 પહેલાં ફક્ત 5 કિ.મી. બનતા હતા.
- દેશભરમાં 23 નવા AIIMS હોસ્પિટલ નિર્માણ.
- દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરાઈ.
મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યું કે જળસંચયના કામોમાં DRD દ્વારા સહાય મળશે અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી પણ અનુદાન આપવામાં આવશે. આ કાર્યશાળાના માધ્યમથી આગળ મંડળ સ્તરે “વિકસિત ભારત સંકલ્પ સભા” યોજવાની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી.
કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહે કાર્યકરોને જણાવ્યું કે આવી યોજનાઓની માહિતી સમાજના દરેક ખૂણેથી લોકો સુધી પહોંચવી જોઈએ. જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ મંડળ સ્તરે યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા આપી. કાર્યક્રમનું સંચાલન જીગરભાઈ દેસાઈએ કર્યું હતું.
આ કાર્યશાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ધારાસભ્યો આર.સી. પટેલ, નરેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થળ: નવસારી
અહેવાલ: આરીફ શેખ