મગફળીના પાકમાં મુંડા જીવાતના સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

જૂનાગઢ

જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા મગફળીના પાકમાં ધૈણ ઢાલિયા (મુંડા) પ્રકારના જીવાતના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ માર્ગદર્શિકા અનુસાર ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી નાશ કરવો. મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના 30 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દ્રારા ૫.૦ કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનામાં આપવું. સફેદ ધૈણ (મુંડા)નો ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૪૦ થી પ૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી.અથવા કવીનાલફોસ ૨૫ ઈ.સી. હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યારે આ જીવાતોના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ ૪ લીટર દવા ૫ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧00 કિલો જીણી રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી, ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ)નો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)