મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને GARCનો ત્રીજો અહેવાલ સોંપાયો, નાગરિકમુખી શાસન માટે મહત્વપૂર્ણ ભલામણો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા ત્રીજો ભલામણ અહેવાલ સોંપાયો છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અહેવાલમાં નાગરિકપ્રથમ અભિગમને કેન્દ્રમાં રાખી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાકીય સુધારાઓ દ્વારા વધુ પારદર્શક, ઝડપી અને નાગરિકમુખી શાસનની ભલામણો કરવામાં આવી છે.

આ ત્રીજા અહેવાલમાં કુલ 10 મહત્વપૂર્ણ ભલામણો આપવામાં આવી છે:

  • એક વિદ્યાર્થી – એક ID – એક પોર્ટલના માધ્યમથી શિષ્યવૃત્તિઓનું એકીકરણ.

  • નિવૃત્ત કર્મચારીઓને પેન્શન માટે સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ.

  • તમામ શાસન વિભાગોના GRનું સંકલન કરવા ટાસ્કફોર્સ.

  • રાજયની તમામ સરકારી સંપત્તિઓ-સેવાઓ માટે GIS આધારિત વ્યવસ્થા.

  • નાગરિક સેવાઓ માટે SMS/WhatsApp દ્વારા ઑટોમેટેડ અપડેટ.

  • જાહેર બસોમાં QR કોડ અને UPIથી ટિકિટ ખરીદવાની વ્યવસ્થા.

  • Digi-locker સાથે સરકારી સેવાઓની લિંકિંગ.

  • સરકારી કર્મચારીઓ માટે ડિજિટલ સર્વિસ બુક.

  • ડાયનેમિક ઇ-સિવિલ લિસ્ટ અને ઓટોમેટિક સિનિયોરિટી લિસ્ટ.

  • વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે કાર્ય વિતરણ અને મૂલ્યાંકન માટે ડિજિટલ સર્વે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના દ્રષ્ટિકોણ સાથે વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને અનુરૂપ GARCની ભલામણો રાજયના શાસન તંત્રને વધુ અસરકારક, પારદર્શક અને નાગરિકપ્રથમ બનાવશે.

આ ત્રીજો અહેવાલ GARCની વેબસાઈટ https://garcguj.in/resources પર ઉપલબ્ધ છે.

અહેવાલ આપતા GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ જણાવ્યું કે, “સશક્ત નાગરિકો માટે ટેકનોલોજી આધારિત શાસન અને જનસહભાગી વિકાસ”ના ધ્યેયને પગલે અહેવાલ તૈયાર કરાયો છે.

આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ પ્રકાશ કારાણી વેરાવળ સોમનાથ.