મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ વાસીઓને રૂ .૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી.

જૂનાગઢ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વર્ચ્યુઅલી જૂનાગઢવાસીઓને રુ.૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યુ કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે, જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે, નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે.

શહેરી વિકાસમાં કોઈ નગર પાછળ ન રહી જાય તેવી પ્રતિબંધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છે, વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબંધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નાણાના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાનું વ્યવસ્થાપન પણ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના માળખાકીય વિકાસના કામો માટે રુ. ૨,૧૧૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રુ.૩૪.૪૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકતા જણાવ્યુ કે, જૂનાગઢ મહાનગરપાલિકા નંબર વન બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોચાડવામાં આવશે, તેમ પણ જણાવ્યુ હતુ.

તાજેતરમાં રજૂ થયેલા સંપૂર્ણ બજેટમાં શહેરી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, આપણા શહેર ગ્રોથ હબ બને તેવી નેમ પણ આ બજેટમાં રાખવામાં આવી છે. ગુજરાત સહિત દેશના ૧૦૦ મોટા શહેરોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ સાથે મળીને વોટર સપ્લાય, સુએઝ ટ્રીટમેન્ટ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર પણ ભાર અપાયો છે.

વિશ્વ જ્યારે ક્લાઇમેન્ટ ચેન્જ અને પર્યાવરણની સમસ્યાઓ સામે રજુમી રહ્યું છે ત્યારે હસનાપુર ડેમમાં એક કરોડ લીટર પાણીનો સંગ્રહ કરીને નવ બિલિયન વોટર ક્રેડિટ મેળવવાની સિદ્ધિ જુનાગઢ મહાનગરપાલિકાએ પ્રાપ્ત કરી છે. આ ગૌરવ મેળવનાર એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે, આ માટે મુખ્યમંત્રીશ્રીએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.

લોક ભાગીદારીથી કેવા સારા પરિણામ કમળી શકે તે જૂનાગઢના લોકોએ કરી બતાવ્યું છે, ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોંકડામાં કાપ, માટી, જાડી જાખરા કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા હતી. તેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું. પણ જૂનાગઢ મહાનગરપાલિકાએ ૯ કિમી જેટલા લાંબા વોંકળાનું PPP મોડલ અનુસરીને ડીસલ્ટિંગ કરીને આ સમસ્યાનો હલ કરવાનો સરહાનીય પ્રયાસ કર્યો છે. તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગ્રોથ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક પેડ માં કે નામ’ ની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકા ૨૫૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, તેને બિરદાવતા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈએ વિકાસના કંડારેલા પથને અનુસરતા, જે વિકાસ કાર્યોના આપણે ખાતમુહૂર્ત કરીએ છીએ તેના લોકાર્પણ પણ આપણે જ કરીશું. તેઓ વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે આહવાન કર્યું હતું.

કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલે કહ્યુ કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રુ.૩૯૭.૭૮ કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત @ ૨૦૪૭” ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, શહેરના જોશીપુરા વિસ્તારના વેપારીઓના કોમર્શિયલ કોમ્પલેક્ષને લગતા પ્રશ્નનું પણ નિવારણ આવ્યું છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને ૨૫ ઇ-બસ ફાળવવામાં આવશે.

આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડીંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણ, મનાપા વિસ્તારમાં જીઆઈએસ બેસ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યના સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમણે જોષીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નનો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું.વિવિધ સ્વ સહાય જૂથને મંત્રી શ્રી તથા મહાનુભાવોના હસ્તે સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મેયર શ્રી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા,કમિશનર શ્રી ઓમપ્રકાશ, કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, સ્ટેંન્ડિગ કમિટિના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટ ભાઈ, દંડક શ્રી અરવિંદભાઈ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ધર્મેશ પોશિયા, વોટર વર્કસ સમિતિના ચેરપર્સન કુસુમબેન અકબારી, અગ્રણી સર્વશ્રી પ્રદીપ ખીમાણી, શ્રી ભરત ગાજીપરા, શ્રી મનન અભાણી, શ્રી વિનુભાઈ ચાંદીગરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)