મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા.૧૭મી સપ્ટેમ્બર -૨૦૨૪થી શરૂ થયેલા ૧૦મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા ઓમાં કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લામાં ૧૦મા તબક્કાનો અંતિમ સેવાસેતુ કાર્યક્રમ તા.૨૫મી ઓક્ટોબરના રોજ મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે યોજાયો હતો. મેંદરડા તાલુકાના મામલતદારશ્રીની અધ્યક્ષતામા ઝીંઝુડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, છેવાડાનો માનવી રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય, તેના ઘર પાસે જ નાના-મોટા પ્રશ્નોનો નિકાલ લાવી તેની સમસ્યાનું સમાધાન કરી શકાય તે માટે આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સરકાર નાગરિકોના ઘર આંગણે આવે છે. જે નાગરિકો તાલુકાકક્ષા સુધી જઈ શકતા નથી, શારીરિક અશક્ત છે તેઓ આ કાર્યક્રમના માધ્યમથી પોતાના પ્રશ્નો રજૂ કરી તેનો હલ મેળવી શકે છે. સેવા સેતુના માધ્યમથી સરકારશ્રીની સેવા-યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો જે આશય છે તેને આપણે સૌ સાથે મળી સિદ્ધ કરીએ તેવી અપીલ પણ કરી હતી.

સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી લાભ મેળવનાર લાભાર્થી શ્રી પ્રકાશભાઈ સુખાનંદીએ જણાવ્યું કે આજરોજ ઝીંઝુડા ગામ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા થકી ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર ની તપાસ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી થઈ રહેલી કામગીરી ખૂબજ સારી છે, અન્ય લોકોએ પણ આ કાર્યક્રમનો લાભ લેવો જોઈએ. જેના માટે સરકાર શ્રી તેમજ વહીવટી તંત્રનો આભાર માનું છું

રેશનકાર્ડ અને આધાર કાર્ડ ની કામગીરી અર્થે આવેલ મીઠાપુર ગામની વતની દોમડીયા પુર્વા એ જણાવ્યું કે આજરોજ રેશનકાર્ડ અને આધાર કાર્ડ માં સુધારા માટે ની કામગીરી સરળતાથી થઈ ગયેલ છે અને આ સેવા સેતુ કાર્યક્રમમાં જુદી જુદી ૫૫ જેટલી યોજનાઓ નો લાભ લોકોને મળે છે જેના માટે આ સેવાસેતુ કાર્યક્રમના આયોજન બદલ સરકારશ્રીનો આભાર માનું છું.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મેંદરડા ગામના રહેવાસી ભાવિનભાઈ ભટ્ટ જણાવે છે કે આજરોજ ઝીંઝુડા ગામ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ માં હું મારા પુત્ર હર્ષિત ભટ્ટ નું આધારકાર્ડ અપડેટની કામગીરી કરવા માટે આવેલ આ કાર્યક્રમમાં આવતાં અહીં ઉપસ્થિત અધિકારીશ્રીઓએ મારું કામ સરળતાથી અને ખૂબજ ઝડપભેર કરી આપ્યું છે અને આ સેવા સેતુ કાર્યક્રમમાં જુદી જુદી બીજી ઘણી યોજનાઓ નો લાભ મળી રહ્યો છે તે માટે હું સરકારશ્રીનો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરુ છું.ઝીંઝુડા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૯ ગામોના ગ્રામજનોએ રાજ્ય સરકારની ૫૫ જેટલી વિવિધ સેવાઓના નાના-મોટા લાભો લીધા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)