જૂનાગઢ, તા.૨૫: મહાશિવરાત્રીના મેળામાં આરોગ્ય તંત્ર દ્વારા ૭૫૦૦થી વધુ લોકોને જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦ જેટલા દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. અહીં ૨૦ ડોક્ટર સહિત ૮૦ જેટલા આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે.
ભવનાથ વિસ્તારમાં તા.૨૨ ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ છે. મેળામાં લોકોના આરોગ્યની ઈમરજન્સી સમયે પહોંચી વળાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તબીબી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, મહાશિવરાત્રી મેળામાં લોકોને આરોગ્યને લગતી કોઈ તકલીફ જણાય તો સારવાર માટે દૂર જવું પડે નહી અને સમયસર સારવાર મળી રહે તે માટે ભવનાથ વિસ્તારમાં ૧૦ મેડિકલ સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રની આરોગ્યની સુવિધાઓ સ્થળ ઉપર મળે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. જેના કારણે મહાશિવરાત્રીના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા તા.૨૨થી અત્યાર સુધીમાં ૭૫૦૦ થી વધુ લોકોને મેડિકલ સારવાર જરૂરિયાત ઉભી થતાં સ્થળ પર સારવાર આપવામાં આવી છે. ભવનાથ ખાતે નાકોડા હોસ્પિટલ એમ.ડી. ડોક્ટર સાથેની ટીમ કાર્યરત રાખવામાં આવી છે. જેમાં ૩૫૦થી વધારે લોકો સારવાર આપવામાં આવી છે અને વધુ સારવારની જરૂર પડે તો ૧૦૮ મારફતે અન્ય હોસ્પિટલોમાં તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાં માટે ૮ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ