વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેના હસ્તે ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું .

ખેરગામ

વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે તા.૧૮ ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટર એન.એન.દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્તે વલસાડ જિલ્લામાં ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કટોકટીના સંજોગોમાં રિસ્પોન્સ સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા માટે આ નવી “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ કટોકટીની સ્થિતિમાં દ્વિ-પ્રક્રિયાના ભાગરૂપે કામ કરશે, જે હવે 108 સર્વિસમાં સામેલ થશે. જીવલેણ પરિસ્થિતિમાં તુરંત સહાય પૂરી પાડવામાં “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ મદદરૂપ થશે. 108 ઈમરજન્સી સર્વિસનો મુખ્ય હેતુ કટોકટીના પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રી-હોસ્પિટલ સારવાર આપવા સાથે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો છે. ગુજરાત સરકાર અથવા સરકારી સહાયિત એજન્સીઓના મહત્વપૂર્ણ VVIP કાર્યક્રમો માટે એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સને જરૂર મુજબ VVIP ફરજો માટે તૈનાત પણ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૬ એમ્બ્યુલન્સ હતી જેમાં આઈસીયુ ઓન વ્હીલ્સની સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ ન હતી પરંતુ હવે અદ્યતન સુવિધા સાથેની “ICU ઓન વ્હીલ્સ” ૧૦૮ ફાળવાતા હવે કુલ ૨૭ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સના ૯૮ ઈએમટી અને પાઈલોટ દ્વારા જિલ્લામાં દિવસ રાત ૨૪ કલાક સેવા પુરી પાડવામાં આવશે.

આ અંગે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધી ૨૬ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ હતી જેમાં વધુ એક ૧૦૮નો ઉમેરો થયો છે. આ એમ્બ્યુલન્સમાં એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અને અલગ અલગ પ્રકારના ચાર સ્ટ્રેચર છે. જે લોકોને તાત્કાલિક સારવારની જરૂર છે ખાસ કરીને હાર્ટના દર્દી કે જેઓ કોમામાં સરી પડે છે તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા રસ્તામાં જ એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમથી જીવ બચાવવો શક્ય છે. જેથી વલસાડ જિલ્લાની જનતાને આકસ્મિક સંજોગોમાં ઉપયોગી થશે.
આ પ્રસંગે ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર અને ૧૦૮ના જિલ્લા કો-ઓર્ડિનેટર સંજયભાઈ વાઘમારે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)