શ્રી સોમનાથ ટ્રસ્ટે શરૂ કરી માત્ર ₹25 માં બિલ્વપૂજા સેવા, ભક્તોને ઘેર મોકલાશે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ

શ્રાવણ 2025 દરમિયાન શિવભક્તો માટે શુભ સમાચાર છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરીથી શરૂ કરવામાં આવેલી “માત્ર ₹25 બિલ્વપૂજા સેવા” હવે ભક્તોને ઘરે બેઠા પણ ઉપલબ્ધ બનશે. આ સેવાની નોંધણી https://somnath.org/BilvaPooja/Shravan વેબસાઇટ અને QR કોડ મારફતે સરળતાથી શક્ય છે.

ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર દ્વારા શુક્રવારે આ સેતુ સેવા પુનઃ શરૂ કરવામાં આવી. આ પૂજા અંતર્ગત સોમનાથ મહાદેવને અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં ભક્તનું નામ જોડાશે અને પૂજારીશ્રી દ્વારા વિધિપૂર્ણ અર્પણ થશે.

વિશેષ રૂપે, ભાવિકોને તેમના ઘરનાં સરનામે રુદ્રાક્ષ, નમન અને ભસ્મ પ્રસાદ મોકલવામાં આવશે. અગાઉ વર્ષ 2023 અને 2024માં 7.50 લાખથી વધુ ભક્તોએ આ સેવા લીધી હતી અને વિશાળ પ્રમાણમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

શાસ્ત્રો અનુસાર, બીલીપત્રના ત્રણ પાંદડાં શિવજીના ત્રિનયન, ત્રિગુણ અને ત્રિશૂલના પ્રતીક છે. એક બિલ્વપત્ર અર્પણથી ત્રણ જન્મના પાપોનો નાશ થાય છે.

ટ્રસ્ટ દ્વારા ભક્તોને પુરતો પ્રસાદ નહીં મળ્યો હોય તો તેમને ફરીથી મોકલવાની વ્યવસ્થાનું પણ પાલન કરવામાં આવે છે, જેનાથી ભક્તોમાં વિશ્વાસ અને શ્રદ્ધા વધારે મજબૂત બની છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ