સોમનાથ તા.21 ઓગસ્ટ – પવિત્ર શ્રાવણ માસની માસિક શિવરાત્રિના પાવન અવસરે સોમનાથ તીર્થધામ ભક્તિભાવથી છલકાયું હતું. દુરદુરથી ભક્તજનો સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
આ અવસરે સોમનાથ મહાદેવને વિશેષ મહાકાલ દર્શન શૃંગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. શૃંગારમાં મહાદેવને ત્રિપુંડ, રુદ્રાક્ષમાળા અને સર્પ સાથે શોભિત કરવામાં આવ્યા હતા. સુગંધિત પુષ્પો, બિલ્વપત્ર, ધૂપ-દીપની આરતી સાથે ભક્તો મંત્રમુગ્ધ બની ગયા હતા. મંદિર પ્રાંગણમાં ગુંજતા *‘ઓમ નમઃ શિવાય’*ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
ભક્તોએ જણાવ્યું કે, સોમનાથ મહાદેવના આ મહાકાલ દર્શન શૃંગારનો લાભ લઈ તેઓ ધન્ય બન્યા છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અને શિવરાત્રિના પર્વે સોમનાથ ધામ ભક્તોને પરમશાંતિ અને પરમ આનંદનો અનુભવ કરાવે છે.
ભક્તોની સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દર્શન વ્યવસ્થા સરળ રહે, પ્રસાદ વિતરણ, સુરક્ષા અને પાર્કિંગની સગવડ સુચારૂ રીતે સંચાલિત થવાથી ભીડ હોવા છતાં શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ