સાળંગપુર – બોટાદ જિલ્લો:
વિશ્વ યોગ દિવસ અને શનિવારના પાવન અવસરે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શનાર્થે સાળંગપુરધામમાં ભક્તોની ઘણઘટાટ જોવા મળી. દાદાને આ વિશેષ અવસરે પ્યોર સિલ્કના વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા અને 100 કિલોથી વધુ ગુલાબના ફૂલોથી સિંહાસન શણગારવામાં આવ્યું હતું. આ સાથે પ્રસાદ રૂપે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક અને ધાર્મિક સૌંદર્યથી ભરેલું આ ભવ્ય આયોજન **શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)**ની પ્રેરણાથી અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.
સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીઓના હસ્તે કરાઈ. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞ પણ ભક્તિભાવપૂર્વક યોજાયો.
વિશ્વ યોગ દિવસ નિમિતે અહીં સૂર્યનમસ્કાર અને વિવિધ યોગાસનોનું સામૂહિક આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં બરવાળા તાલુકાના લોકો તેમજ દેશભરમાંથી આવેલા હરિભક્તોએ યોગમાં સહભાગી થઈ ધર્મ અને આરોગ્યનું સુદૃઢ સમન્વય સાધ્યો.
પૂજારી સ્વામીએ જણાવ્યું કે, “દાદાને પહેરાવવામાં આવેલા પ્યોર સિલ્કના વાઘા વૃંદાવનથી ખાસ સાત કારીગરોની મહેનતથી તૈયાર કરવામાં આવ્યા છે, અને ગુલાબના ફૂલો વડોદરાથી લાવવામાં આવ્યા છે. આજે સાળંગપુરના ‘કિંગ’ હનુમાનજીના દર્શન કરીને હજારો ભક્તોએ મહાપ્રસાદનો લહાવો લીધો હતો.”
આવા પાવન અવસરે ભક્તોએ દર્શન, યોગ અને અન્નકૂટનો લાભ લઈ અધ્યાત્મ અને આરોગ્યના સંતુલનનો આનંદ માણ્યો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ