સુરતના રાંદેર વિસ્તારમાં બુધવારે વહેલી સવારથી વીજચોરી સામે વિજીલન્સ વિભાગ દ્વારા વિશાળ કવાયત હાથ ધરવામાં આવી. GUVNL (ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.) અને DGVCL (દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ.)ની કુલ ૯૬ ચેકિંગ ટીમોએ રાંદેર શહેર-૧ અને ૨ પેટા વિભાગીય કચેરીના વિસ્તારમાં ૪,૫૩૩ વીજ જોડાણોની તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ૧૭૭ વીજ જોડાણોમાં અનિયમિતતા જોવા મળતાં, કુલ રૂ. ૨,૪૭,૭૦,૫૦૦/- ની વીજચોરી પકડાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ઓપરેશન વિજીલન્સ વિભાગના વડા ઇજનેર ડી.પી. મોદી, DGVCL વિજીલન્સના ઇજનેર યુ.એ. ચૌધરી તથા સુરત શહેર વર્તુળ કચેરીના ઇજનેર બી.સી. ગોધાણીના માર્ગદર્શન હેઠળ ચાલ્યું હતું. રેડ દરમિયાન સ્થાનિક પોલીસ તથા GUVNLના સ્ટાફનો પણ સહકાર લેવામાં આવ્યો હતો.
જોકે તપાસ દરમિયાન મહત્વનું તારણ આવ્યું હતું કે, વીજચોરી કરનારાઓ મીટરના બોડી સીલ તોડી, મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડાં કરતા અને મુખ્ય સર્વિસ લાઇનમાં ટેપ લગાવી સીધો વીજપ્રવાહ લેતા હતા. કેટલાક કિસ્સામાં મીટર બાયપાસ કરી ને વિજચોરી થતા જોવા મળ્યું હતું.
વિજીલન્સ ટીમોએ દરેક ગુનાકારક વિજજોડાણ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વીજ ચોરીને લઇને સરકાર અને વિજ વિભાગ સજાગ બન્યા છે અને આવનારા સમયમાં વધુ વિસ્તૃત તપાસો હાથ ધરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પ્રકારની કાર્યવાહીથી સંકેત મળે છે કે વિજચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિ સામે તંત્ર સખત વલણ અપનાવશે.
અહેવાલ: પરેશ, (સુરત)