સુરતના ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘લોકલ ટુ ગ્લોબલ’ થીમ પર એક્ષ્પોર્ટ–ઇમ્પોર્ટ સંબંધિત વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
આ સેશનમાં ઇન્ટરનેશનલ ટ્રેડ એક્ષપર્ટ અને ટ્રેઇનર શ્રી અમિત મુલાણીએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગસાહસિકોને નિકાસ અને આયાત ક્ષેત્રની વિશાળ તકો વિષે વિગતવાર માહિતી આપી. તેમણે વિશ્વના આર્થિક પરિપ્રેક્ષ્યમાં ભારતની સ્થિતિ અને ભવિષ્યની મહાસત્તા બનવા માટે નિકાસ વૃદ્ધિનું મહત્વ પણ સમજાવ્યું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્યોગસાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે વૈશ્વિક સ્પર્ધાના યુગમાં એક્ષ્પોર્ટ–ઇમ્પોર્ટ માત્ર વેપાર નહીં, પણ દેશની આર્થિક વિકાસ યાત્રાનું આધારીય સ્તંભ છે. ચેમ્બરની પ્રતિબદ્ધતા છે કે ઉદ્યોગસાહસિકોને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ આપવામાં આવે જેથી સ્થાનિક ઉત્પાદન વૈશ્વિક બજારમાં સ્થાન મેળવે.
શ્રી અમિત મુલાણીએ જણાવ્યું કે, હાલ ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે અને વર્ષ 2030 સુધીમાં ત્રીજી મહાસત્તા બનવાનું લક્ષ્ય ધરાવે છે. જે માટે નિકાસના સ્તરમાં નોંધપાત્ર વધારો કરવો અત્યંત આવશ્યક છે.
સેશનના અંતે ઉદ્યોગસાહસિકોએ કારગર માહિતી માટે ચેમ્બરને આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયગાળામાં નિકાસ ક્ષેત્રે પગલાં લેવા આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- સૂરજ મિશ્રા (સુરત)