
સોમનાથ, તા. ૧ મે:
વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંહલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત “રન ફોર રામ” યાત્રાનો પ્રારંભ આજે પવિત્ર સોમનાથધામથી કરવામાં આવ્યો છે. આ યાત્રા હરિયાણાના યુવા દોડવીર અને બજરંગ દળના કાર્યકર નરેન્દ્રસિંહ યાદવ દ્વારા દોડવામાં આવી રહી છે, જે સોમનાથથી અયોધ્યા સુધીના 1760 કિમીના માર્ગને આવરી લેશે.
આ યાત્રાનું પ્રસ્થાન સોમનાથ મંદિરના પટાંગણ નજીક કિલ્લા હનુમાનજી મંદિરથી કરવામાં આવ્યું હતું, જ્યાં નરેન્દ્રસિંહ યાદવ દ્વારા ભગવાન સોમનાથના દર્શન કર્યા બાદ ટ્રસ્ટીઓ દ્વારા પ્રશસ્ત સ્વાગત કરાયું. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ અર્પણ અને શુભકામનાઓ પાઠવાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન અનેક અગ્રણીઓ હાજર રહ્યા, જેમાં અખિલ ભારતીય પ્રબંધ સમિતિના અશોકભાઈ રાવલ, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, સંત નારાયણ બાપુ, રમતગમત અધિકારી કાનજી ભાલિયા, વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ હમીરસિંહ વાળા, સંસ્કૃત યુનિવર્સિટીના ડો. જયેશ મૂંગરા, તેમજ વિવિધ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ સહિત અનેક મંત્રીગણ અને આગેવાનોએ હાજરી આપી.
નરેન્દ્રસિંહ યાદવ અગાઉ રામેશ્વરમથી અયોધ્યા અને બાબા બુઢા અમરનાથથી અયોધ્યા સુધીની દોડ પુરી કરી ચૂક્યા છે અને અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ હાંસલ કર્યા છે. તેમનો ઉદ્દેશ સ્પષ્ટ છે – રામનું સ્મરણ, મર્યાદાનું પાલન અને હિન્દૂ યુવાનોમાં સંસ્કારનું સંચાલન.
આ યાત્રા દરમ્યાન સોમનાથથી ઉજ્જૈન સુધી ત્રણ રાજ્યો પસાર થશે, અને દરેક જિલ્લાના ગામડાઓમાં ઉજવણી અને સ્વાગત કાર્યક્રમો યોજાશે. ભોજન અને રોકાણ સહિતની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કરવામાં આવશે.
રિપોર્ટ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ